top of page

આશિષ કંસારાની રોગાન કલા

Aug 19, 2025
3 min read

આશિષ કંસારા લુપ્ત થતી રોગાન કલાને નવજીવન આપનાર કલાકાર છે. સમયે લુપ્ત થવાની અણી પર પહોંચેલી આ સદીઓ જૂની રોગાન કલાને ફરીથી જીવંત કરવાનો શ્રેય કચ્છના માધાપર ગામના આશિષ શાંતિલાલ કંસારાને જાય છે. પોતાના પિતાના રિક્ષા ડ્રાઇવર તરીકેના વ્યવસાયથી વિપરીત આશીષે પોતાના દાદા જમનાદાસ વસ્તારામ કંસારા પાસેથી વારસામાં મળેલી આ અનોખી કળાને માત્ર જીવંત જ નથી રાખી પરંતુ તેને નવી ઊંચાઈઓ પર પણ પહોંચાડી છે. આશિષ કંસારાની રોગાન કલા ખુબ પ્રસિદ્ધ થઇ છે

આશિષ કંસારાની રોગાન કલા
આશિષ કંસારા

રોગન કલા: આશિષ કંસારાના હાથે પુનર્જીવિત થયેલ એક સદીઓ જૂની વિરાસત

માત્ર દસમાં ધોરણ સુધી અભ્યાસ કરનાર આશિષ કંસારાએ પોતાની યુવાનીમાં જ રોગાન કલાનું કામ શરૂ કર્યું. જોકે મશીન પ્રિન્ટિંગના આગમનથી આ કલા ધીમે ધીમે ઓછી થવા લાગી. 1992 થી 93 સુધીમાં મોટાભાગના કલાકારોએ આ વ્યવસાય છોડી દીધો. ત્યારબાદ 2001 ના કચ્છના ભયાનક ભૂકંપે આશિષને પણ બે ત્રણ વર્ષ માટે આ કલા છોડવા મજબૂર કરી દીધા પરંતુ ભૂકંપ પછી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા રણ ઉત્સવ એ આશિષ જેવા અનેક કલાકારોને નવી આશા આપી અને રોગાન કલાને ફરીથી લોકોના હૃદયમાં સ્થાન મળ્યું.

શ્રી રાજા રામ દરબાર આશિષ કંસારાની રોગાન કલા

પરંપરાગત રીતે મર્યાદિત ડિઝાઇન પૂરતી સીમિત રોગાન કલામાં આશીષે નવીનતા લાવવાનું શરૂ કર્યું તેમણે ભગવાનની પેન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું જેમાં શ્રી રાજા રામ દરબાર ગણેશજી હનુમાનજી શ્રી તિરુપતિ બાલાજી અને શ્રી સ્વામિનારાયણ જેવી કૃતિઓ ખૂબ લોકપ્રિય થઈ ખાસ કરીને શ્રી રાજા રામ દરબારની પેન્ટિંગ તેમને ખૂબ ખ્યાતિ અપાવી રણ ઉત્સવ દરમિયાન દેશ વિદેશના લોકો આ અદભુત કલાને જોવા માટે દૂર દૂરથી આવતા હતા કોરોના મહામારી દરમિયાન આ કલાને ફરી એકવાર પડકારનો સામનો કરવો પડ્યો પરંતુ આશિષના પ્રયાસોથી તે ફરી ફરીથી જીવંત થઈ.

rogan art by ashish kansara from madhapar bhuj kutch gujarat
કલ્પવૃક્ષ

આશિષ કંસારા અને કોમલ કંસારા

આશિષ કંસારા પોતાની પત્ની કોમલ કંસારા સાથે મળીને રોગાન કલા શીખવી રહ્યા છે. તેઓ કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ પણ યોજે છે. આજે 23મી 25 બહેનો તેમની સાથે કામ કરી રહી છે જેનાથી આ કલાને વધુ પ્રસાર મળી રહ્યો છે. આશિષ કંસારા ભારત સરકાર દ્વારા રોગાન કલાના ઓથોરાઇઝડ યુઝર તરીકે પણ પ્રમાણિત છે. રોગાન કલાને અંગ્રેજીમાં ડ્રાયંગ ઓઇલ ટેકનીક કહેવામાં આવે છે તે એક અઘરી પ્રક્રિયા છે.

રોગન કલા: પદ્ધતિ

આ કલામાં મુખ્યત્વે એરંડિયા અળસી અખરોટ અને તલના તેલનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ આ તેલને ઉકાળીને ઘટ્ટ કરવામાં આવે છે અને તેમાં ચોક પાવડર તથા રંગો ઉમેરીને પથ્થર પર પીસીને રોગાન પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ પેસ્ટને લોખંડના સળિયા વડે લઈને હથેળી પર ઘસવામાં આવે છે જેથી તે દોરા જેવી બને આ દોરા વડે કાપડ પર અત્યંત સૂક્ષ્મ અને સુંદર ડિઝાઇન બનાવવામાં આવે છે આ કલાની સૌથી ખાસ વાત એ છે કે કાપડની માત્ર એક જ બાજુ ડિઝાઇન કરવામાં આવે છે અને પછી તેને વચ્ચેથી વાળી દેવામાં આવે છે જેનાથી ફ્રીહેન્ડની જેમ ભાત બીજી બાજુ છપાઈ જાય છે.

ટ્રી ઓફ લાઈફ - રોગાન કલા
ટ્રી ઓફ લાઈફ - રોગાન કલા
રોગન કલા: ઇતિહાસ

રોગાન કલાનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે 2008 માં અફઘાનિસ્તાનના હિન્દુકુશવેલીમાં થયેલા સંશોધનમાં એક ગુફામાંથી પાંચમી સદીની ઓઇલ પેન્ટિંગ મળી આવી હતી જે આજે દુનિયાની સૌથી જૂની ઓઇલ પેન્ટિંગ્સમાંની એક છે. ભારતમાં પણ ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં આ કલા પ્રચલિત હતી. ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, પાટણ અને કચ્છમાં રોગાનનું કામ થતું.

રંગ રોગાન

રોગાન શબ્દ આપણી તળપદી ભાષામાં રંગ રોગાન તરીકે જાણીતો છે. "રોગન" સંસ્કૃત શબ્દ "रङ्गन्" (રંગન) પરથી આવ્યો છે, જેનો અર્થ 'રંગ કરવો' અથવા 'રંગ' થાય છે. રોગાન કલાના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. રોગાન છાપ, રોગાન નિર્મિકા છાપ અને રોગાન વર્ણિકા છાપ. દરેક પ્રકારની પોતાની વિશિષ્ટ પદ્ધતિ અને શૈલી છે. આ કલામાં કેસરી, સફેદ, પીળો, લીલો અને વાદળી એમ માત્ર પાંચ જ રંગોનો ઉપયોગ થાય છે. જે તેની સુંદરતા અને સાદગી દર્શાવે છે. આમ એક સમયે એશિયાના સૌથી ધનિક ગામ તરીકે ઓળખાતું માધાપર આજે આશિષ કંસારા અને તેમની અદભુત રોગાન કલાને કારણે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે.

Comments


bottom of page